ઈશ્વરની બક્ષિસ એવું આ ઠરેલ ઘડપણ આવ્યું રે,
જિંદગીને માણવાની કળા હૃદયમાં સમજાય કે..
ઘડપણ એટલે “ઈશ્વર લાગણીમાં સંચરી રહ્યો રે,
આ ઘડપણ આવ્યું ને અળખામના સૌના થયા રે.!!
જોબનીયાને સુવિદાય આપી, આગંતુક વૃધત્વ ને આમાન્યા જાતે જ આપજો રે,
પાનખરના વધામણા ને આવકારતા, અંતરિયાનો પોકાર નિસાસો નાખતો રે,
નવી ઘડપણ ની ઉષાને પ્રેમ વટ ખમીર થી બાપલીયા વધાવજો રે,
આ સંસારમાં સાર નથી જાણી લેજો સૌ, દલડા દુખાય કોને જઈ ને કહીયે રે.!!
પત્થર એટલા દેવ પૂજી, બાધા આખડીઓ થી મેળવ્યા, પેટ ના જણ્યા રે,
હવે આ પેટ જણ્યા ને જ સમય નથી મુજ માટે,આ તે કળિયુગી કેવા વાયરા રે,
પ્રભુ ! તારી કેવી લીલા બલિહારી રે,કે આ કળિયુગી વાયરા વાગ્યા મુજ રૂદિયે રે,
દગો દીધો માયાજાળની મહોબ્બતે અને ફસાવ્યો મુજ ને માયાવી મમતા એ રે.!!
રંગ બદલતી ઠાલી લાગણી ઓ ની હાર જીત નાં રુદિયે ઝાટકા વાગ્યા રે,
ઉજાગરા અને બાળોતિયા સ્મૃતિ પટળે નિહાળતા થયા મુજ રૂદિયા જ્ખ્મે હાલ રે,,
એકલતા ની થપાટો ને માયાવી જગ મહી, શબ્દોમાં ઘૂંટ સ્મરણ વ્યથાઓ સહી રે,
ઉદાસ ચહેરા, તરસી વિવશ આંખો, ને વૃદ્ધ તનડા એ બધું લાચાર વશ જોયું મેં,
અમ સૌનું તનડું ઘરડું થાતું પરંતુ મનડું ઘરડું ક્યાં થાતું રે,
હૈયલડું તો સદા જુવાનીયું બનાવ્યું રે,પ્રદર્શિત થવાના પ્રકારો અલગ થાતા રે,
અમ સૌનું બાળપણ,જોબનિયું અને ઘડપણ તો એનું એ જ રે,
સૌનાં દિલ પર સમયાન્તરે અલગ અલગ પ્રભાવો પાડતું રે.!!
હૈયા નો હાર અને દેવ નાં દીધેલા ને લાગે મુજ ઘડપણ અકારું રે,
દૂખથી બળેલો હું, મુજને લાગે આ સંસાર અને જગ અકારો રે,
કંચન વરણી આ કાયા, સૌની થશે એક દિન મુજ વીતી હું જાણું રે,
સંસારનો આ અકળ નિયમ મારા વ્હાલા સૌ હેતે થી વધાવજો રે.!!
જવાની નાં જોશ માં બતાવ્યા ઘરડા ઘર, ને મુજ આંખલડી ને હૈયું ભીંજાણું રે,
અપમાન વેઠી ને નિસાસો નાખતું આ ચિત્તડુ હવે બન્યું એક રણક્ષેત્ર રે,
જેમાં બુદ્ધિ ,વિવેક ,લાગણી ઓ અને ઠાલી મોહ માયાની લડાઈ ઓ ચાલે રે,
જેમાં નાં ફાવ્યું મુજ ચિતડું કે મુજ જણ્યાનાં દિલ માં કેમે કરી ને સ્થાન મેળવું રે.!!
દેવના દીધેલ નો કળિયુગી પ્રેમ પામવા આ તરસ્યું હૈયું કેટલું કરગરેલું રે,
ઘર કૂળ દિપક ની કૃત્રિમ મીઠી નજર કાજે આ બેતાબ ભીખરી દિલ દર્દને વરેલું
વિરહ વેદના છતાં જર્જરિત છે મકાન,આ નફફટ યાદોનું કૃત્રિમ પોપડું વળગેલુ રે.!! ``
નલિની સિંહ "નીશી "
તા. 3/૮/૨૦૧૨
No comments:
Post a Comment